હું અફઘાનિસ્તાન જવાનું વિચારી રહ્યો છું.’ ડૉ. ત્રિવેદી સાહેબે કહ્યું.‘પ્રયોજન?’ મેં પૂછ્યું.‘ઓસામા-બિન-લાદેનને તપાસવા માટે.’ સાહેબે જવાબ આપ્યો. હું જોઇ રહ્યો, એમના ચહેરા ઉપર એની એ જ સૌમ્યતા હતી, સ્મિતમાં કાયમી કરુણા હતી અને આંખોમાં બાળસહજ નિર્દોષતા હતી અને આવા અત્યંત જાણીતા વિશ્વના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીને પોતે એક ડોક્ટરની હેસિયતથી તપાસવા માટે જવાના છે એ વાતનો લવલેશ અહંકાર તો ક્યાંય કળાતો ન હતો.
કેટલાં વર્ષ થયા હશે આ ઘટનાને? યાદ છે, એ ૨૦૦૦નું વર્ષ હતું. અમદાવાદની વિશ્વપ્રસિદ્ધ કિડની ઇન્સ્ટિટ્યૂટના નિયામક ડૉ. એચ.એલ.ત્રિવેદી સાહેબનો ફોન આવ્યો હતો. એમના અવાજમાં ગંભીરતા હતી, ચિંતા હતી અને થોડુંક ન સમજાય તેવું રહસ્ય હતું.’
મેં કહી દીધું, ‘હું આવું છું, આજે બપોરે સાડા ત્રણ વાગ્યે તમારી ઓફિસમાં પહોંચું છું.’હું નિધૉરીત સમયે પહોંચી ગયો. કોરિડોરમાં જ એક મહિલા કર્મચારી મળી ગયાં. ‘ત્રિવેદી સાહેબને મળવા આવ્યા છો?’ એમણે પૂછ્યું. પછી મારી ‘હા’ સાંભળીને એ ગંભીર થઇ ગયા, ‘સાહેબને સમજાવો કે આવી ભૂલ ન કરે. કદાચ સર તમારું કહેવું માનશે.’ઓફિસની બહારની રૂમમાં સાહેબના પી.એ. નલિનીબહેન મળ્યાં, ‘તમને ખબર પડી ગઇ?’‘કઇ વાતની?’ મેં સામે પૂછ્યું.
નલિનીબહેન ભારે ચબરાક છે, એમના જેવાં નિષ્ઠાવાન અને વફાદાર પી.એ. કદાચ ભારતના વડાપ્રધાન પાસે પણ નહીં હોય. એમણે તરત વાતને વાળી લીધી, ‘વાત જે હશે તે! પણ સાહેબ તમને તો કહેશે જ. તમે એમને વારજો!’હું ઓફિસમાં પ્રવેશ્યો. વિશાળ ઓફિસમાં ટેબલની પેલી બાજુએ ચંદ્રકો, પ્રમાણપત્રો અને સન્માનોના ભંડાર વચ્ચે સૂટ-બૂટ પહેરેલા સેવાધારી સંત બેઠા હતા. કોમ્પ્યુટરની સામે ડૉ. અરુણાબહેન વણીકર હાજર હતા. કવિમિત્ર માધવ રામાનુજ પણ મળી ગયા. થોડીક પ્રેમભરી વાતો થઇ. ચા-કોફી પીવાઇ ગઇ. પછી મેં કહ્યું, ‘સાહેબ, મારે આપની સાથે એક-બે ખાનગી વાતો ‘શેર’ કરવી છે. કેન વી હેવ પ્રાઇવસી?’ત્રિવેદી સાહેબ ઊભા થઇ ગયા, ‘લેટ અસ મૂવ ટુ ધી એડજોઇનિંગ રૂમ.’ હું એમની પાછળ દોરવાયો. હવે એકાંત હતું અને અમારી વાતો હતી.
મારે જે કહેવાનું હતું તે કહી દીધું. સાહેબ પણ સંસ્થાને લગતી કોઇ ગંભીર વાતના મુદ્દે ચિંતિત હતા. એમણે પણ પોતાની વેદના ઠાલવી દીધી. પછી મેં વાતનું વહેણ બદલ્યું, ‘બીજું શું ચાલે છે, સાહેબ? હમણાં ઇન્ડિયામાં જ છો કે પરદેશની કોન્ફરન્સમાં હાજરી આપવા માટે જવાના છો?’‘હું અફઘાનિસ્તાન જવાનું વિચારી રહ્યો છું.’‘પ્રયોજન?’‘ઓસામા-બિન-લાદેનને તપાસવા માટે.’ સાહેબના ઉત્તર વિસ્ફોટથી ઓરડામાં સન્નાટો પ્રસરી ગયો. મને થોડો ઘણો ઇશારો મળી ચૂક્યો હતો, તેમ છતાં ત્રિવેદી સાહેબ પાસેથી આધારભૂત માહિતી જાણી એના કારણે હું ખળભળી ગયો.
***
આ ઘટનાની છ મહિના પહેલાંની એક ઘટના મને યાદ આવી ગઇ. પાકિસ્તાનનો એક જુવાન. બંને કિડની ખરાબ થઇ ગઇ હતી. પ્રત્યારોપણ કરાવવું જરૂરી હતું. પણ પાકિસ્તાનના ડોક્ટરોની કાબેલિયત ઉપર ખુદ પાકિસ્તાનીઓને જ વિશ્વાસ નથી. એ દર્દીના સગાંઓએ ડૉ. ત્રિવેદી સાહેબનો સંપર્ક સાધ્યો. સાહેબે લીલી ઝંડી ફરકાવી આપી. એ પાકિસ્તાની પરિવાર અમદાવાદ આવ્યો, ઓપરેશન કરાવ્યું અને આભારથી ઝૂકેલું મસ્તક લઇને પરત ગયો.
અગિયાર વર્ષ પહેલાં આ ઘટના મેં ‘ડોક્ટરની ડાયરી’માં લખી અને ગુજરાતના દયાળુ, ઉદાર અને સાચા અર્થમાં ધર્મસહિષ્ણુ વાંચકોએ પત્રો લખીને તથા ફોન કરીને આ ઘટનાને વધાવી લીધી અને પછી એક ફોન આવ્યો. ઇન્ડિયન આર્મીનો કોઇ નિવૃત્ત સૈનિક બોલી રહ્યો હતો, ‘ઠાકર સાહેબ, તમે ડોક્ટરો આવી માનવતાની વાતોથી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છો. બંધ કરો આવી મૂર્ખામી! હું ૧૯૬૫નો જંગ લડી ચૂકેલો સોલ્જર છું. સામી છાતીએ પાકિસ્તાનીઓ સામે જીવ સટોસટની બાજી રમ્યો છું.
કરાંચીના દીવાઓ જોઇ શકાય એ હદ સુધી આપણું લશ્કર શત્રુઓની ભૂમિ ઉપર પ્રવેશી ગયું હતું. છેલ્લી ક્ષણે ભાગતા શત્રુએ એક બોમ્બ ફેંક્યો, જે મારા જમણા પગ પાસે જ ફાટ્યો. હું બેભાન બની ગયો. જ્યારે હોશમાં આવ્યો ત્યારે હું આર્મી હોસ્પિટલમાં પડ્યો હતો. મેં ડોક્ટર સાહેબને પૂછ્યું, ‘મેરા પૈર કહાં હૈ?’ એમનો જવાબ હતો, ‘પાકિસ્તાન મેં.’ ઠાકર સાહેબ, તમને હું આક્રોશભર્યો સવાલ પૂછું છું- ‘છેલ્લા પચાસ વરસના ઈતિહાસમાં માત્ર એક જ દાખલો એવો બતાવો જેમાં કોઇ ભારતવાસી માટે કોઇ પાકિસ્તાનીએ સારું કામ કર્યું હોય! પછી એ ગમે તે ક્ષેત્રનું હશે તો પણ ચાલશે.
મહેરબાની કરીને તમે લોકો આ રાક્ષસો પ્રત્યે દયા બતાવવાનું બંધ કરો! આ માનવતાની સેવા નથી, પણ દાનવતાની સેવા છે. તમે પાકિસ્તાનના એક અસૂરને નવી જિંદગી આપીને ખુશ થાવ છો, પણ તમારા પોતાના દેશના એક અપંગ સૈનિકનો પગ પાકિસ્તાનથી પાછો લાવી શકો છો? તમારી હિપોક્રેટિક ઓથનું રટણ મારી સામે ન કરશો, પ્લીઝ! જ્યારે હિપોક્રેટિસે એ પવિત્ર પ્રતિજ્ઞાની રચના કરી હશે, ત્યારે આ પૃથ્વી પર પાકિસ્તાન નામનો અપવિત્ર દેશ જન્મ્યો નહીં હોય!’ આટલું બોલીને એ દેશભક્ત રડી પડ્યો.
***
ડૉ. ત્રિવેદી સાહેબને અફઘાનિસ્તાનમાં જવાનું આમંત્રણ મળ્યું એ વિશેની ઘટના પણ સૌ પ્રથમ મેં જ ‘ડોક્ટરની ડાયરી’માં આલેખી હતી. થોડાક દિવસ પછી આ જ ‘સ્ટોરી’ દેશના અગ્રણી અંગ્રેજી અખબારે પ્રથમ પાને ચમકાવી. ઇન્ટરનેશનલ મૂલ્ય ધરાવતી કોઇ વાત મૂળ ગુજરાતી મીડિયામાંથી અંગ્રેજી મીડિયામાં જાય એવી આ દુર્લભ ઘટના માટે મને તામસી ગર્વ તો ન થયો, પણ સાત્વિક ગૌરવ અવશ્ય અનુભવાયું.
અને અત્યારે હું ત્રિવેદીસાહેબની સાથે હતો, સામે હતો. બહાર જેટલા લોકો મને મળ્યા, એ તમામના ચહેરાઓ ઉપર ચિંતાના વાદળો ઘેરાયેલા હતા. સાહેબના નિકટના વર્તુળમાંથી એક મિત્રે મારા કાનમાં ફૂંક મારી દીધી હતી કે બહેન પણ ચિંતિત છે. બહેન એટલે સાહેબના ધર્મપત્ની.
મેં ગોળો ગબડાવ્યો. જિંદગીમાં પહેલીવાર ડૉ. ત્રિવેદી સાહેબ સમક્ષ અર્ધસત્ય ઉચ્ચાર્યું, ‘સર, મારી પાસે ખૂફીયા જાણકારી છે, તમે લાદેનની સારવાર માટે કંદહાર જવાના છો એ વાત સી.આઇ.એ. સુધી પહોંચી ગઇ છે. અમેરિકા નથી ઇચ્છતું કે વિશ્વનો કોઇ પણ ડોક્ટર એના પ્રથમ ક્રમાંકના શત્રુને સારવાર આપીને સાજો કરે! તમે માનવતાની દુહાઇ આપશો એ વાત હું જાણું છું પણ તમે એક વાત નથી જાણતા. અમેરિકા તમને લઇ જતા વિમાનને હવામાં જ તોડી પાડશે. ન રહેગા બાંસ, ન બજેગી બાંસૂરી! અમેરિકાએ નિર્ણય લઇ લીધો છે, હવે તમારે લેવાનો છે.’
ડૉ. ત્રિવેદી સાહેબ વ્યથિત થઇ ઊઠ્યા, ‘આવું બની શકે, શરદ? અમેરિકા એક ડોક્ટરને માનવતા ખાતર કોઇ દર્દીની સારવાર કરતાં અટકાવી શકે? જે હોય તે, પણ લાદેનનું જે થવું હોય તે થાય, જો હું જ નહીં રહું તો મારા ભારતના લાખો દર્દીઓનું શું થશે?’
મેં રોપેલું વિચારબીજ પછી તો અન્ય લોકોની માવજતને કારણે વિકસીને છોડ બની ગયું. ત્રિવેદી સાહેબે કંદહાર જવાનો વિચાર માંડી વાળ્યો. જોકે, એનો સંપૂર્ણ યશ હું હરગીઝ નહીં લઉં. મહાન માણસોના મનને સમજવામાં કોણ સફળ થયું છે?’ આવું ભવભૂતિ કહી ગયા છે. મેં મારા દર્દીમાં ક્યારેય જાતિ કે ધર્મ જોયા નથી. ત્રિવેદી સાહેબ તો દેશને પણ ધ્યાનમાં લેતા નથી. આ ઘટનામાં જે આક્રોશ છે તે શત્રુ દેશ માટેનો છે અને એ એક સૈનિકનો છે.
(શીર્ષક પંક્તિ: ગિરીશ પરમાર)
Filed under: ડો. શરદ ઠાકર Tagged: | doctor ni diary, doctor shard thaker, ran ma khilyu gulab, sharad thaker
Very nice story.
really nice…….