‘દુષ્ટ! પહેલું કામ તો આ નાટક કરવાનું બંધ કર. બદમાશ, સાત-સાત વાર તારા ઘરમાં દીકરી સ્વરૂપે મા જગદ્જનની અંબા ખુદ પધારવાની હતી, ત્યારે તે એને જન્મવા ન દીધી. હવે માનું મંદિર રચવા નીકળ્યો છે?’
‘દયારામ, સારા સમાચાર છે. તમે બાપ બનવાના છો. તમારી પત્નીને ચોથો મહિને ચાલી રહ્યો છે.’ મેં દુગૉનું શારીરિક ચેક અપ કરીને એના પતિને સમાચાર આપ્યા. દયારામ મારી સામે જ બેઠા હતા, સમાચાર સાંભળીને સૂરજમુખીના ફૂલની જેમ હસી ઊઠ્યા. કેમ ખુશ ન થાય? પહેલીવાર જો બાપ બનવાના હતા. હું ‘પ્રિસ્ક્રિપ્શન’ લખાવામાં પરોવાયો, ત્યાં સુધીમાં દયારામના આનંદનો જથ્થો ખતમ થઇ ગયો અને સવાલોનો જથ્થો વપરાશમાં મુકાયો.‘સાહેબ, આપણે પેલું… શું કહેવાય છે…? ટી.વી.માં જોવાનું…?’ દયારામ યાદ કરી રહ્યા.
‘હું સમજી ગયો, સોનોગ્રાફી?’‘હા, એ જ. આપણે એ નથી કરાવવાનું?’‘કરાવીશું ને! યોગ્ય સમયે યોગ્ય હોય, તે બધી તપાસ અને પરીક્ષણો કરાવીશું જ, પણ હાલમાં તો દુગૉબહેન માટે જરૂરી છે તે દવાઓ લખી આપું છું.’ મેં પ્રિસ્ક્રિપ્શનનો કાગળ દયારામના હાથમાં મૂક્યો. દયારામને એમાં કંઇ રસ હોય તેવું ન લાગ્યું. એ માથું ખંજવાળીને કદાચ એ વિચારતો હતો કે એનો એ સવાલ ફરીથી કઇ રીતે પૂછવો! ‘સાહેબ, સોનોગ્રાફીની તપાસમાં બધી વાતની ખબર તો પડી જશે ને?’ દયારામે સવાલની નવતર આવૃત્તિ બહાર પાડી.
‘હા, બાળક વિશે ઘણી ખરી જાણકારી મળી જશે.’ મારા દિમાગમાં આઘે આઘેથી આવતી બદમાશીની ઘૂઘરીઓનો આછો-આછો રણકાર સંભળાઇ રહ્યો હતો. ‘એ બધાને ગોળી મારો, સાહેબ, આપણે તો એ જાણવું છે કે દુગૉના પેટમાં દીકરો છે કે દીકરી!’ દયારામે છેવટે સજજનતાનાં વસ્ત્રો ઉતારી જ નાખ્યાં.હું તપી ગયો, ‘દયારામ, તમને શરમ નથી આવતી? તમારી પત્ની પહેલી જ વાર ગર્ભવતી બન્યાં છે, ત્યારે તમને દીકરા-દીકરીની પડી છે? પહેલું બાળક તો પ્રભુનો પ્રસાદ ગણાય.’
‘એ બધું તો સમજયા, સાહેબ! પણ અમારી આર્થિક સ્થિતિ સારી નથી. આ જમાનામાં દીકરીના ઉછેર, ભણતર અને એને પરણાવવાના ખર્ચાઓ કેટલા બધા વધી ગયા છે! અમારે તો બસ એક જ સંતાન જોઇએ છે અને એ દીકરો જ હોવો જોઇએ.’તાજેતરમાં આમિર ખાનનો ટી.વી. કાર્યક્રમ ‘સત્યમેવ જયતે’ શરૂ થયો છે. એનો પ્રથમ એપિસોડ જોઇને મને દયારામની વાત યાદ આવી ગઇ. બહુ વધારે વર્ષો નથી થયાં આ ઘટનાને.
અત્યારે પણ આવા નિર્દયારામો અમારી પાસે આવતા જ રહે છે, પણ દયારામને એ બધામાં ટોચના સ્થાને એટલા માટે બેસાડવા પડે છે કારણ કે એ તો પ્રથમ સંતાનથી જ સ્ત્રીભ્રૂણહત્યા માટે સજજ થઇ રહ્યા હતા. એ દિવસોમાં ગર્ભસ્થ શિશુનાં જાતપિરીક્ષણ ઉપર પ્રતિબંધ ફરમાવતો કાયદો તાજો જ ગુજરાત રાજ્યમાં અમલમાં આવેલો હતો. એટલે મેં દયારામને શબ્દો ચોર્યા વગર કહી દીધું,‘હું પોતે તો તમને આ બાબતમાં મદદ નહીં જ કરું, પણ મારા કોઇ સોનોલોજિસ્ટ મિત્ર દ્વારા પણ તમારું કામ નહીં કરાવી આપું.’દયારામે લાલચ આપી, ‘સાહેબ, કામ તો તમારે કરી જ આપવું પડશે. ખર્ચાનો સવાલ નથી.’
‘ખર્ચાનો સવાલ કેમ નથી, દયારામ! તમે હમણાં જ તો કહ્યું કે તમારી આર્થિક સ્થિતિ સારી નથી. દીકરીને જીવાડવાના પૈસા તમારી પાસે નથી, પણ એને મારવાના પૈસા છે, ખરું ને? એની વે, હું કંઇ ‘બેટી બચાવો’નો નારો લઇને જાહેરમાર્ગ પર નીકળી પડેલો ચળવિળયો નેતા નથી, હું તો સરકારી કાયદાને માન આપીને કામ કરતો સામાન્ય નાગરિક છું. આ વાત વિશે આપણે હવે ચર્ચા નહીં કરીએ. આ દવાઓ લખી આપી છે તે લઇ લેજો, એક મહિના પછી ‘ફોલોઅપ’ તપાસ માટે આવી જજો.’ મેં એકપક્ષીય ચર્ચાવિરામ જાહેર કરી દીધો. દયારામ દયામણા મોં સાથે ચાલ્યા ગયા.
ફરીવાર એક મહિના પછી એ લોકો દેખાવા જોઇતા હતા, પણ ન દેખાયા. પૂરા છએક મહિના પછી દેખાયા. મેં પૂછ્યું, ‘સુવાવડ પિયરમાં કરાવી? બાબો આવ્યો કે બેબી?’દયારામે જવાબ આપવાને બદલે કહ્યું, ‘દુગૉને બે મહિના ચડ્યા છે. તપાસ માટે આવ્યા છીએ.’ મેં દુગૉને ટેબલ પર લીધી, ત્યારે એ રડી પડી. બહાર અવાજ ન જાય એમ એણે હોઠ ફફડાવ્યા, ‘અમે સોનોગ્રાફીની તપાસ કરાવી હતી. એનો રિપોર્ટ બેબીનો આવ્યો. એટલે અમે પડાવી નાખી.’
હું ડઘાઇ ગયો. સ્ત્રીભ્રૂણહત્યાનો આઘાત તો મને લાગ્યો જ, એ ઉપરાંત મોટો આંચકો મને એ વાતનો લાગ્યો કે કાયદાની મનાઇ હોવા છતાં અમદાવાદ જેવા શહેરમાં કવોલફિાઇડ ડોક્ટરો માત્ર પૈસાની લાલચમાં હજુ પણ ભ્રૂણનું લિંગપરીક્ષણ અને સ્ત્રીભ્રૂણની હત્યા કરી રહ્યા છે! હું મારે જે કરવાનું હતું તે ‘ચેકઅપ’નું કામ પતાવીને બહાર આવ્યો. દયારામને સમાચાર આપ્યા, ‘તમારી વાઇફ ગર્ભવતી છે.’દયારામ આ વખતે વૈજ્ઞાનિક માહિતીથી સજજ થઇને આવ્યા હતા, ‘સાહેબ, આ વખતે ચાર મહિનાવાળી તપાસ નથી કરાવવી. સાંભળ્યું છે કે હવે તો સવા બે મહિને કંઇક ‘બાયોપ્સી’થાય છે. એમાં જો ખરાબ રિપોર્ટ આવે તો ગર્ભપાત કરાવવો સરળ પડે છે. સાહેબ, આ વખતે ના ન પાડતા. તમને હાથ જોડું છું.’
એ પછીના સંવાદો તમે કલ્પી શકો છો. લખવા બેસું તો પાનાંનાં પાનાં ભરાય. પણ મેં દયારામને ‘માનભેર’ (સાચું કહું તો અપમાનભેર) વિદાય કરી દીધા. આઠ-દસ મહિના પછી જાણવા મળ્યું કે દયારામે પોતાનો ઇરાદો સાધી લીધો હતો. કોરિઓન બાયોપ્સીની તપાસમાં દીકરી છે એવું જાણવા મળ્યું એટલે દુગૉબહેનનું કયુરેટિંગ કરાવી નાખ્યું હતું. કોઇને આ કિસ્સો ઉપજાવી કાઢ્યો હોય તેવો લાગી શકે, પણ આઘાતજનક હદ સુધી આ ઘટના સાવ સાચી છે. મેં એમાં વાર્તારસ પૂરતોયે કલ્પનાનો મસાલો ભભરાવ્યો નથી.
દયારામ સતત ચાર વર્ષમાં છ વાર મારી પાસે દુગૉને લઇને આવી ગયા. બીજે ક્યાંક પણ ગયા જ હશે. કેટલીક વાર એની કોને ખબર પડે? ઇશ્વર પણ દયારામની દાનતની અગ્નિપરીક્ષા કરી રહ્યો હોય તેમ દરેક વખતે દીકરીનો જ રિપોર્ટ બહાર પાડતો હતો. બૂરી દશા દુગૉની હતી. વારંવારની ગર્ભપાતોથી એનું શરીર ખલાસ થવાના આરે પહોંચી ગયું હતું. જેને મેં પહેલીવાર જોઇ ત્યારે હરીભરી જોઇ હતી એ માત્ર ચાર જ વર્ષમાં ‘વૃદ્ધા’ બની ગઇ હતી.
એક સવાલ મને ખુદને પજવતો હતો. મેં આટલી બધી વાર જાતપિરીક્ષણ માટે ઇન્કાર કરી દીધો હોવા છતાં દરેક વખતે દયારામ પ્રારંભમાં મારી પાસે જ શા માટે આવતા હતા? એનું કારણ પછીથી જાણવા મળ્યું. એ વાત લાંબી છે. ટૂંકમાં કહું તો એ જ્યાં રહેતા હતા તે વિસ્તારના ઘણા બધા લોકો મારા જૂના દર્દીઓ હતા. એટલે દયારામની પ્રથમ પસંદગી તો હું જ હતો, પણ આખરે એમણે મને છોડી દીધો. સાતમી વારની પ્રેગ્નન્સી વખતે એ કાયદાનો ભંગ કરનાર ડોક્ટર પાસે ગયા. આ વખતે પણ રિપોર્ટમાં દીકરી જ જાણવા મળી. એને જાણવાનો તો સવાલ જ ક્યાં હતો? ગર્ભપાત કરાવી નાખ્યો, પણ આ વખતે કોમ્પ્લિકેશન ઊભી થઇ. ગભૉશયમાં કાણું પડી ગયું. વધુ પડતા રક્તસ્રાવ અને ઇન્ફેકશનના કારણે દુગૉનું મૃત્યુ થઇ ગયું.
***
એક સામાજિક પ્રસંગમાં હું હાજરી આપવા ગયો હતો, ત્યાં મેં દયારામને જોયો. એની સાથે એની નવી પત્ની હતી જેની કાંખમાં છએક માસનો દીકરો હતો. દયારામ એક એક કરીને બધાંને મળીને કશુંક માગી રહ્યો હતો. એના હાથમાં રસીદ બુક હતી. પછી મારો વારો આવ્યો. મને જોઇને એ ઉત્સાહમાં આવી ગયો, ‘સાહેબ, દેવી માતાના મંદિર માટે ફંડફાળો ઉઘરાવું છું. એક મહિના પહેલાં અંબાજી મા મારા સપનામાં આવ્યાં હતાં. મને કહે કે હું તારા પર પ્રસન્ન છું. તારા ઘરની સામે ખુલ્લી જગ્યા છે ત્યાં મારું ભવ્ય મંદિર બનાવ! ત્યારથી હું પૈસા ભેગા કરી રહ્યો છું.
સાહેબ, આપના નામની કેટલા રૂપિયાની પાવતી ફાડું?’છેલ્લા ચાર વર્ષથી ભેગો થયેલો ધૂંધવાટ મારી ખોપરીનું આવરણ તોડીને જાણે ફાટ્યો! સામાન્ય રીતે જાહેરમાં હું કોઇને આકરાં વેણ કહેતો નથી. (ખાનગીમાં કહું છું!) પણ એ દિવસે મારાથી મોટા અવાજમાં બોલી જવાયું, ‘દુષ્ટ! પહેલું કામ તો આ નાટક કરવાનું બંધ કર. બદમાશ, સાત-સાત વાર તારા ઘરમાં દીકરી સ્વરૂપે મા જગદ્જનની અંબા ખુદ પધારવાની હતી, ત્યારે તે એને જન્મવા ન દીધી.
હવે માનું મંદિર રચવા નીકળ્યો છે? અને અંબા મા એટલી ભોળી છે કે એ તને સપનામાં દર્શન દેવા આવે? દુગૉ તો તારા ઘરમાં જ હતી, એકાદ દીકરી આવી ગઇ હોત તો તારું ઘર જ મંદિર જેવું પવિત્ર બની ગયું હોત! અને બીજું એક કામ કરીશ? એફિડેવિટ કરાવીને તારું નામ બદલાવી નાખીશ?’મહેફિલમાં સન્નાટો હતો, મારી આંખોમાં ભીનાશ હતી અને અવાજમાં કંપન! અને દયારામ? એ તો ક્યાં દેખાતો જ ન હતો.
(શીર્ષક પંક્તિ: મુસાફિર પાલનપુરી)
Filed under: ડો. શરદ ઠાકર | 10 Comments »